ગુજરાતના તમામ હેલીપૅડનું દર ત્રણ મહિને થશે નિરીક્ષણ, હંમેશા કાર્યરત રાખવા આદેશ
ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત જાળવણી માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે.

ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત હેલીપૅડને હંમેશા ઉપયોગ માટે તૈયાર સ્થિતિમાં રાખવા નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ હવે દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને અન્ય જરૂરી હવાઈ અવરજવર દરમિયાન હેલીપૅડનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય તે સુનિશ્ચિત કરવાનો છે.
ખામી જણાય તો તાત્કાલિક મરામત
નિરીક્ષણ દરમિયાન હેલીપૅડમાં કોઈ ખામી કે મરામતની જરૂર જણાય તો કામમાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે. દરેક હેલીપૅડને સંપૂર્ણ ઉપયોગલાયક સ્થિતિમાં રાખવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવી છે. અધિક્ષક ઇજનેર પોતાના કાર્યક્ષેત્ર હેઠળના હેલીપૅડની સમયાંતરે સમીક્ષા પણ કરશે.
કઈ સુવિધાઓની થશે તપાસ?
જાળવણી દરમિયાન હેલીપૅડની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની સુવિધાઓની સ્થિતિ તપાસવામાં આવશે. જ્યાં જરૂરી હોય ત્યાં નિયમિત મરામત અને જાળવણી કરવાની રહેશે.
પાર્કિંગ અને દબાણ દૂર કરવાના આદેશ
હેલીપૅડ અથવા તેની આસપાસ અનધિકૃત બાંધકામ, દબાણ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો અને ઝાડી-ઝાંખરા જેવા અવરોધો ન રહે તેની સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા અને બિનવપરાશી વાહનો પણ હેલીપૅડ વિસ્તારને અવરોધતા હોય તો દૂર કરવાના રહેશે.
કટોકટી સમયે ઝડપી ઉપયોગ પર ભાર
સરકારનો હેતુ રાજ્યના હેલીપૅડને એવી સ્થિતિમાં રાખવાનો છે કે આપત્તિ, તબીબી કટોકટી અથવા રાહત-બચાવ કામગીરી દરમિયાન લાંબી તૈયારી વગર તેનો ઉપયોગ કરી શકાય. નવા દિશા-નિર્દેશથી હેલીપૅડની જાળવણી માટે જવાબદારી અને નિયમિત નિરીક્ષણની વ્યવસ્થા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


