આ 19 શહેરોમાં ₹35 પ્રતિ કિલો મળશે ડુંગળી, સરકારે શરૂ કર્યો હાઇબ્રિડ રેલ-રોડ પુરવઠો
સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ હવે 19 શહેરોમાં વિસ્તારી દીધું છે. ‘કાંદા એક્સપ્રેસ’, ટ્રકો, NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર મારફતે ₹35 પ્રતિ કિલોના દરે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ડુંગળીના ભાવમાં મોસમી વધારો કાબૂમાં રાખવા કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી વેચાણનો વિસ્તાર વધારીને 19 શહેરો સુધી કર્યો છે. પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે રેલવે અને રોડ પરિવહન બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.Price Stabilisation Fund હેઠળની ડુંગળીનું વેચાણ 24 ઓગસ્ટ 2026થી શરૂ કરવામાં આવ્યું હતું. NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારના વેચાણ કેન્દ્રો ઉપરાંત મોબાઇલ વાન દ્વારા પણ ગ્રાહકોને ₹35 પ્રતિ કિલોના દરે ડુંગળી આપવામાં આવી રહી છે.
‘કાંદા એક્સપ્રેસ’થી બે રેક મોકલાયા
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય મુજબ નાસિકથી અત્યાર સુધી ‘કાંદા એક્સપ્રેસ’ના બે રેલવે રેક મોકલવામાં આવ્યા છે. પ્રથમ રેકમાં 450 મેટ્રિક ટન ડુંગળી હતી, જે 27 ઓગસ્ટે દિલ્હી પહોંચી હતી. તેમાંથી 140 મેટ્રિક ટન ડુંગળી વારાણસી, લખનઉ, ચંડીગઢ અને અમૃતસર મોકલવામાં આવી અને બાકીનો જથ્થો દિલ્હી-NCRમાં વિતરણ માટે રાખવામાં આવ્યો. બીજા રેકમાં 840 મેટ્રિક ટન ડુંગળી મોકલવામાં આવી હતી, જે 31 ઓગસ્ટે ચેન્નઈ પહોંચી. તમિલનાડુ સરકાર આ જથ્થાને જાહેર વિતરણ પ્રણાલી દ્વારા પહોંચાડવાની યોજના બનાવી રહી છે.
રોડ મારફતે પણ 1,000 મેટ્રિક ટન પુરવઠો
રેલવે ઉપરાંત આશરે 1,000 મેટ્રિક ટન ડુંગળી મોટા વપરાશવાળા શહેરોમાં રોડ મારફતે પણ મોકલવામાં આવી રહી છે. સરકાર બજારની સ્થિતિ અને સ્થાનિક ભાવને ધ્યાનમાં રાખીને અલગ-અલગ શહેરોમાં મોકલાતી માત્રા નક્કી કરી રહી છે.
કયા શહેરોમાં ₹35માં મળશે ડુંગળી?
સરકારના જણાવ્યા મુજબ દિલ્હી, જયપુર, જમ્મુ, દહેરાદૂન, શિમલા, અમૃતસર, ચંડીગઢ, કોલકાતા, ગુવાહાટી, લખનઉ, વારાણસી, પટના, ભોજપુર, બિહાર શરીફ, ભુવનેશ્વર, ચેન્નઈ, મદુરાઈ, ત્રિશૂર અને કોચીમાં બફર સ્ટોકની ડુંગળી ₹35 પ્રતિ કિલોના દરે વેચાઈ રહી છે. આ માટે દેશભરમાં 30થી વધુ ટ્રકો પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી 669 મેટ્રિક ટન વેચાણ
અહેવાલ મુજબ અત્યાર સુધી લગભગ 669 મેટ્રિક ટન ડુંગળીનું વેચાણ થયું છે. તેમાંથી 223 મેટ્રિક ટન ડુંગળી e-NAM અને અન્ય ઓનલાઈન માધ્યમથી જથ્થાબંધ બજારમાં વેચાઈ છે, જ્યારે 446 મેટ્રિક ટન ડુંગળી રિટેલ માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચી છે.
ખેડૂતોને ₹210 કરોડનું સીધું ચુકવણું
સરકારે બફર સ્ટોક માટે ખરીદી દરમિયાન લગભગ 3,400 ખેડૂતોને સીધા તેમના ખાતામાં આશરે ₹210 કરોડ ચૂકવ્યા હોવાનું પણ જણાવ્યું છે.સરકારનું કહેવું છે કે વધતા પુરવઠાથી બજારમાં ઉપલબ્ધતા સુધરશે અને ભાવ સ્થિર રાખવામાં મદદ મળી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


