અમદાવાદથી વિદેશ મુસાફરી હવે વધુ સરળ, દિલ્હી બનશે 26 સ્થળો માટેનું કનેક્ટિંગ હબ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ‘Hub and Spoke’ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ આ વ્યવસ્થામાં જોડાયેલું દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું હોવાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ‘Hub and Spoke’ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુજબ આ વ્યવસ્થાથી અમદાવાદથી દિલ્હી મારફતે આશરે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી મુસાફરી વધુ સરળ બનાવવાનો હેતુ છે. નવી વ્યવસ્થામાં મુસાફરો માટે કસ્ટમ્સ, ઇમિગ્રેશન અને સામાન સંબંધિત જરૂરી પ્રક્રિયાઓ અમદાવાદ ખાતે જ પૂર્ણ કરી શકાશે. તેના કારણે હબ એરપોર્ટ તરીકે દિલ્હી ખાતે કનેક્ટિંગ ફ્લાઇટ લેતી વખતે ફરીથી કેટલીક પ્રક્રિયાઓ કરવાની જરૂર ઘટશે.
અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ
મંત્રાલયના જણાવ્યા મુજબ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ ‘Hub and Spoke’ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં જોડાયેલું દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે. અમદાવાદની આંતરરાષ્ટ્રીય મુસાફરીની માંગ, ગુજરાતના મોટા NRI સમુદાય અને રાજ્યના વેપાર-ઉદ્યોગને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.
‘Hub and Spoke’ મોડલ કેવી રીતે કામ કરશે?
આ મોડલમાં નાના અથવા પ્રાદેશિક એરપોર્ટને ‘Spoke’ અને મોટા કનેક્ટિંગ એરપોર્ટને ‘Hub’ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અમદાવાદથી મુસાફરી શરૂ કરનાર પ્રવાસી દિલ્હી જેવા હબ એરપોર્ટ પર ફ્લાઇટ બદલીને અંતિમ આંતરરાષ્ટ્રીય ગંતવ્ય સુધી જઈ શકે છે. પ્રેસનોટ મુજબ બેગેજ ટ્રાન્સફર, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન જેવી પ્રક્રિયા શરૂઆતના એરપોર્ટ પર જ પૂર્ણ થતાં હબ ખાતે ફરીથી ચેકિંગની જરૂરિયાત ઓછી થશે.
મુસાફરોના સમયની બચતનો દાવો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના જણાવ્યા મુજબ આ મોડલથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સરળ અને સીમલેસ બનશે. બેગેજની આપોઆપ ટ્રાન્સફર વ્યવસ્થા અને ફરીથી ચેક-ઇન કરવાની જરૂર ઘટવાથી મુસાફરોનો સમય બચી શકે છે. સાથે એરલાઇન્સ માટે પણ સંચાલન વધુ સરળ બનવાની અપેક્ષા છે.
ગુજરાતના વેપાર અને પ્રવાસનને ફાયદાની અપેક્ષા
મંત્રાલયે જણાવ્યું કે અમદાવાદની વધતી વૈશ્વિક કનેક્ટિવિટીથી હૉસ્પિટાલિટી, પ્રવાસન, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ડાયમંડ-જેમ્સ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને લાભ મળી શકે છે. ગુજરાત સરકાર મુજબ હાલ રાજ્યમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ 19 એરપોર્ટ કાર્યરત છે. ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.
દેશમાં 160થી વધુ એરપોર્ટ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુજબ 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા, જે હવે વધીને 160થી વધુ થયા છે. આગામી 10 વર્ષમાં ‘UDAN’ યોજનાના વિસ્તરણ સાથે વધુ 100 એરપોર્ટ વિકસાવવાની યોજના હોવાનું પણ જણાવાયું છે.


